Posts

Showing posts from August, 2014

સોશિઅલ થવા માટેના ફાંફાં અને ચહેરા પર અસલામતીનું ફેશિઅલ

એકવાર એક મજાકિયું ક્વોટ લખ્યું હતું: "મેં બાળલગ્ન કરવાનો ગુનો કર્યો છે. હું બાળપણથી એકલતાને પરણ્યો છું. એક લતા મળી જાય તો એકલતા દૂર થઈ જાય!" (કોઈકે મજાકમાં પ્રત્યુત્તર આપ્યો હતો કે કયા લતાની લતા ચાલશે?) એકલતા શું છે? બધાથી ઘેરાયેલા રહેતાં હોય અને અલ્પ સમય માટે એકલા રહેવાનું થતું હોય ત્યારે માણસ ડંફાસ મારીને કહી શકે કે મારે એકલા રહેવાનું હોય તો વાંધો ન આવે. પણ આસપાસ કોઈ ન હોય ત્યારે એકલતાનો જે ખાલીપો ઘેરી વળે છે એને દૂર કરવા માટે એકલતાને આનંદદાયક પ્રવૃત્તિઓ વડે કાંતીને એકાંતમાં તબદીલ કરવાનું બહુ ઓછા લોકોને ફાવે છે. જરાક એકલા પડે એટલે બે મિનિટ પણ જંપીને બેસી ન શકતાં અને ધડાધડ ફોન નંબરો ડાયલ કરીને મિત્રો સાથે ગપ્પાગોષ્ઠિ કરીને ખાલીપો પૂરવાના હવાતિયા મારતાં લોકો જોયા છે. દુનિયાના ધારાધોરણો સાથેની વિસંગતતાને કારણે કે પોતાના નમૂનારૂપ વ્યક્તિત્વને કારણે અથવા તો આત્મરતિના અતિરેકને લીધે બીજાને ચાહવાની ક્ષમતા ગુમાવી દેવાને કારણે મોટી ઉંમર સુધી સાથી વિના રહી ગયેલાં લોકોને પોતાનું સર્કલ સતત વિસ્તારવા માટે સંબંધોની સાઈકલને પેડલ મારી મારીને મિત્રવર્તુળમાં ગોળગોળ ફરતાં જોયા છે. પાર્ટીઓ...

નિયમોના બંધન વિશેની એક અછાંદસ કવિતા

તમે નહીં માનો પણ હું બહુ સીધો માણસ છું... આખી જિંદગી હું નિયમો પાળીને જીવ્યો છું. લોકો આનંદ માટે પાલતુ પ્રાણીઓ પાળે એમ... પણ જેમ કૂતરાનો માલિક ખરેખર તો એનો ગુલામ કહેવાય એમ આ નિયમોએ મને ગુલામ બનાવીને પાળ્યો છે ગળે વીંટળાયેલા નિયમોના ગાળિયાથી  મેં મારી વિદ્રોહી ઇચ્છાઓને ફાંસીએ ચડાવી દીધી છે. આહારના નિયમો, વિહારના નિયમો અને પ્રહારના પણ નિયમો...  ઉઠવાના નિયમો, રુઠવાના નિયમો, બેસવાના નિયમો ને ક્યાંક પેસવાના પણ નિયમો... તરવાના નિયમો, ચાતરવાના નિયમો, ખાતરવાના નિયમો, કાતરવાના-વેતરવાના-છેતરવાના નિયમો... થશે સૌ સારાં વાનાં એવા બહાનાં આપતાં નિયમો... નિયમો પાળવામાં મારે કોઈ અપવાદ નથી, અપવાદ નથી એનો અર્થ એ નહીં કે વિખવાદ નથી. નીતિથી વશ થઈને અને નિયમોથી વિવશ થઈને જીવવા માટે  મારી અંદર ઊછાળા મારતી ઊર્મિઓના દરિયાને મેં સૂકવી દીધો છે અને થૂંક ગળી જતા ઉપવાસીની જેમ ગળી જઈને હૃદયમાં જલતી અસંતોષની આગમાં સ્વાહા કરી દીધો છે. કઠિયારાએ કાપી નાંખેલા લીલા ઝાડની જેમ મેં મારી ઇચ્છાઓની લીલી કૂંપળને ટૂંપો દીધો છે ઝાડને પ્રોસેસ કરીને બનાવેલા કાગળમાંથી તૈયાર થ...

ચંદ્રકાંત બક્ષી અને ઉસ્તાદ વિલાયત ખાન : એક તુલના

Image
10, 15, અને 20... ત્રણેય સંખ્યાઓ વચ્ચે કોઈ કનેક્શન શોધી બતાવો એવું કોઈ કહે તો? ઝાઝી માનસિક કસરત કર્યા વિના કહી શકાય કે ત્રણેયમાં ક્રમશ: 5 ઉમેરાય છે અથવા ત્રણેય 5 વડે વિભાજ્ય કે 5ના ગુણાંકમાં છે. આજ આંકડા ઑગસ્ટ મહિનાની ત્રણ તારીખોના હોય ત્યારે એ સિવિલ સર્વિસ કે અન્ય પ્રવેશ પરીક્ષાઓમાં પૂછાતા ગાણીતિક કોયડાઓ કરતાં પણ સવિશેષ મહત્ત્વ ધરાવે છે. 10મી ઑગસ્ટ એટલે કવિઓના કવિ શ્રી સુરેશ દલાલની પુણ્યતિથિ, 15મી ઑગસ્ટ ભારતનો સ્વાતંત્ર્ય દિન અને 20મી ઑગસ્ટ એટલે નામચીન અને સદાયે અર્વાચીન રહેવા સર્જાયેલા સર્જક શ્રી ચંદ્રકાંત બક્ષીની જન્મતિથિ. (આવતા વર્ષ સુધીમાં 10, 15 અને 20ની શ્રેણીમાં ખૂટતી સંખ્યા 5, 25 અને 30નું પણ કોઈ કનેક્શન શોધી કાઢીશું.) નવલકથાકાર હરકિસન મહેતા અને અશ્વિની ભટ્ટ સિડની શેલ્ડનની જેમ વાચકોને પાના ફેરવવા માટે વિવશ કરી શકે, પરંતુ વિચારોનો વલોપાત સર્જીને વાચકોને વશ તો બક્ષી જ કરી શકે. વિવશ કરવું અને વશ કરવું એટલો તફાવત બીજા લેખકો અને બક્ષીની કલમ વચ્ચે છે. વિવશ થવામાં લાચારીનો ભાવ ભળેલો છે, વશ થવામાં સ્વયંભૂ ખેંચાણ અનુભવાય છે.  આજે 20 ઑગસ્ટ 2014નાં રોજ બક્ષીબાબુની 82મી જન્મજ...

ચંદ્રકાંત બક્ષીના પ્રાપ્ય-અપ્રાપ્ય પુસ્તકો વિશે થોડુંક...

કોઈ ગાયકે આજીવન ગાયેલા ગીતો કે કોઈ અભિનેતાએ આજીવન કરેલી ફિલ્મોનો ચોક્કસ આંકડો નક્કી કરવામાં દુવિધા થતી હોય એ પ્રકારની સ્થિતિ ચંદ્રકાંત બક્ષીના પ્રગટ થયેલા કુલ પુસ્તકો અને ખરેખર પ્રાપ્ય હોય એવા પુસ્તકોની ચોક્કસ સંખ્યા નક્કી કરતી વખતે થતી હોય છે. નવલકથાઓ, વાર્તાસંગ્રહો, આત્મકથા તથા અલગ અલગ શ્રેણીઓ હેઠળ પ્રકાશિત થયેલાં લેખસંગ્રહો, સંસ્મરણો, પ્રવાસ વર્ણનો વગેરેની સંખ્યા ગણીને એક ચોક્કસ આંકડા પર આવવાની કોશિશ કરી રહ્યો છું. આજથી દાયકા પહેલાં મેં અમદાવાદમાં બુકશેલ્ફમાંથી બક્ષીસાહેબના ઘણાંખરાં પુસ્તકો ખરીદી લીધેલાં, એટલે એમાંથી અત્યારે કેટલાં પ્રાપ્ય છે એ ખ્યાલ નથી, પરંતુ મારા સંગ્રહમાં હોય એ બધા પુસ્તકોના આધારે પ્રાપ્ય પુસ્તકોની સંખ્યા જોઈએ. 26 નવલકથાઓમાંથી 'યાત્રાનો અંત' એ અનુવાદ ગણાવવામાં આવે છે અને આજ સુધી એ પુસ્તક ક્યાંય નજરે ચડ્યું નથી. જાતકકથા, આકાશે કહ્યું અને વંશ જેવી નવલકથાઓ બક્ષીપ્રેમી મિત્ર મૌલિકા દેરાસરી એ સુરતની લાયબ્રેરીમાંથી લાવી આપી જેની મેં તરત ઝેરોક્સ કરીને સ્પાયરલ બાઈન્ડિંગ કરાવીને મૂળ પુસ્તકો પરત કર્યા હતાં. એટલે કુલ નવલકથાઓ 25 છે. વાર્તાસંગ્રહોમાં કેટ...

કાજલ ઓઝા વૈદ્યની એક કવિતાનો અનુવાદ

ગોઠવણ એટલે શું? (કાજલ ઓઝા વૈદ્ય) આજે મને પહેલીવાર સમજાયું કે ગોઠવણ એટલે શું ? રંગરોગાન વગરના સંબંધનો ચહેરો પહેલીવાર ધોધમાર અજવાળામાં આંખ સામે ખૂલી ગયો ! તું… જાણે સામે કિનારે, અને, તારી આસપાસ નાચતી નિર્વસ્ત્ર હકીકતોની ભૂતાવળ… … આ કિનારે એકલી-અટૂલી હું. મારા ખિસ્સામાં, મારી અપેક્ષાઓ અધિકારોનું ચૂંથાયેલું લિસ્ટ… કહેલા-ન કહેલા, માની લીધેલા શબ્દોના, લીરેલીરા ! આંખમાં રેતી ને હોઠ પર ઝાંઝવા, આપણી વચ્ચેના પુલને ફૂરચેફૂરચા થઈ ઉડી જતો જોઈ રહ્યા છીએ આપણે બંને – અસહાય ! An Arrangement (Kajal Oza Vaidya) For the first time I came to know what an arrangement means...  The face of an uncolored relationship  bared itself for the first time  in an incessant illumination.  You...as if standing on the opposite shore,  encircled by the dancing ghosts of the naked facts...  ...All alone I am on this side of the shore...  with a crumpled checklist of hopes and aspirations in my pocket  with ruins and r...

ચીંથરિયું અખબાર, ખખડધજ, અભિભૂત, પનોતી, બિસમાર અને સપત્ની !

હમણાં પીઢ અને જ્ઞાનવૃદ્ધ રાજકીય સમીક્ષક શ્રી નગીનદાસ સંઘવીએ ચિત્રલેખાના તાજા અંકમાં ચીંથરિયું અખબાર એવો સરસ શબ્દ પ્રયોજ્યો અને સૌરભ શાહના પુસ્તક 'કંઈક ખૂટે છે' ના એક લેખમાં આપણે વર્ષોથી ખોટી અર્થછાયા પકડીને વાપર્યા હોય એવા પ્રચલિત શબ્દોના વાસ્તવિક અર્થો વિશે જાણ્યું તો શબ્દો વિશે થોડી જ્ઞાનવૃદ્ધિ થઈ.  સંઘવી સાહેબે પ્રયોજેલા શબ્દ ચીંથરિયું અખબારનો સંદર્ભ કંઈક આમ હતો : મોદી-જયલલિતા વિશેની અભદ્ર ટિપ્પણી કોઈ ચીંથરિયા અખબારમાં લખાઈ હોય તો સમજ્યા, પરંતુ શ્રીલંકાના સંરક્ષણ ખાતાની વેબસાઈટ પર આવી ટિપ્પણી મૂકાય એ અક્ષમ્ય છે. ચીંથરિયું લખાણ એટલે ચાલુ, માલ વગરનું લખાણ. આ શબ્દ વાંચતાની સાથે જ એનો અંગ્રેજી સહોદર કહેવાય એવો શબ્દ કે જે મેં રૉબિન કૂકની "સીઝર" નામની એક મૅડિકલ થ્રિલરમાં વાંચેલો એ યાદ આવી ગયો: rag ! પત્રકારિતાના નિમ્નતમ ધોરણો ધરાવતું તિરસ્કૃત અખબાર એટલે રૅગ. હવે સૌરભભાઈના લેખમાં વાંચેલા શબ્દો જેનું અત્યાર સુધી આપણે ખોટું અર્થઘટન એટલે કે અનર્થઘટન કર્યું છે. ખખડધજ: શબ્દ સાંભળતાની સાથે જ ખખડી ગયેલું કે ખરાબ કન્ડિશનમાં હોય એવું ચિત્ર ઉપસે, પણ એનો પ્રથમ અર્થ (...

કાવ્યવૃષ્ટિ: સમગ્ર સુરેશ કાવ્યોનો સંપુટ, ભાવકો માટેનો અખૂટ અન્નકૂટ !

Image
હાસ્યલેખક વિનોદ ભટ્ટને કોઈએ પૂછ્યું હતું કે તમે કવિ કેમ ન થયા? વિનોદ ભટ્ટે જવાબ આપ્યો હતો કે પોતે જીવદયામાં માને છે. ભાગ્યેશ જ્હાએ બીઆરટીએસ બસમાં કોઈ અમદાવાદીને કહ્યું કે હું કવિ છું તો અમદાવાદીએ જવાબ આપ્યો કે, "હું બહેરો છું." સરળતાથી ગુનાની કબૂલાત ન કરાનારા રીઢા ગુનેગારોને ઢોર માર મારવાથી જે અસર થતી નથી એ ઘણી વાર ગુજરાતી ફિલ્મો બતાવીને અથવા કવિતાઓ સંભળાવવાથી થાય છે અને એ તરત ગુનાની કબૂલાત કરી લે છે. કવિતાની વાત આવે ત્યારે કેટલાંક ગમ્મત કરાવે એવા અને કેટલાંક ગમગીન કરે એવા જાતજાતના ટૂચકાં ફરતાં હોય છે.  ઑગસ્ટનો મહિનો એટલે ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો મહિનો. ગુજરાતી સાહિત્યપ્રેમીઓ માટે બીગ બી બક્ષીબાબુની જન્મતિથિ અને 2012માં 10મી ઑગસ્ટે શબ્દલીન થયેલાં કવિ સુરેશ દલાલની પુણ્યતિથિનો મહિનો. આખેઆખી નવલકથા વાંચી જતા ઘણાં વાચકો મધ્યમ કદનો કાવ્ય સંગ્રહ પૂરો વાંચવાની તસદી લેતા હોતા નથી, ત્યારે 600થી વધારે પાનાનો મોટો ગ્રંથ હોય અને એ પણ ત્રણ ત્રણ ભાગમાં હોય ત્યારે આખો કાવ્યસંગ્રહ વાંચવાનું મન થઈ શકે? જવાબ છે હા, provided that અથવા બશર્તે એ કવિતાઓ સુરેશ દલાલની હોય તો. જુરાસિક...