કોશિશ કરી સૂવા ઘણી નીંદર છતાં આવે નહીં (નેહલ મહેતા)

કોશિશ  કરી  સૂવા  ઘણી  નીંદર છતાં આવે નહીં, 
બીમાર  મનને  સ્વપ્ન  કો'  કેમે  કરી  ભાવે  નહીં.

કડવાશ ફેલાતી ભલે જીવન તણાં આ પાત્રમાં, 
મધુરસ યદિ આપે મને તો ખાસ કૈં ભાવે નહીં. 

છૂપું  હશે  એમાં  પ્રયોજન  રત્નનાં  નિર્માણનું, 
કારણ વિના કો' દી અગન આંચે મને તાવે નહીં. 

રાખ્યો  સલામત  રામજીએ આપદામાં પણ મને, 
એની   કૃપાથી  કો'  મને  ચાખે  નહીં  ચાવે  નહીં.

હો  શક્ય  તો  ગવડાવ  મારા  ગીત કંઠે અન્યના, 
પીડા  સ્વયમ  મારી જ  આ ગાતાં મને ફાવે  નહીં.

(નેહલ મહેતા)

Comments

Popular posts from this blog

नि:स्वार्थ प्रेम की परिभाषा (जोगिन्दर तिवारी)

દ્રૌપદી વસ્ત્રાહરણ અંગે કૃષ્ણ-અર્જુન સંવાદ

શાસ્ત્રીય સંગીતના રાગો વિશે સપાટી પરનાં અવલોકનો