મને ચિંતા નથી (ગઝલવિશ્વ જૂન 2017માં છપાયેલી મારી એક ગઝલ) (નેહલ મહેતા)

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત ત્રૈમાસિક ગઝલવિશ્વના જૂન 2017ના અંકમાં મારી એક ગઝલ સ્વીકૃતિ પામી છે. ગઝલ મોકલતી વખતે અહીં ટાઇપ કરેલા પાંચમા શેરનો સમાવેશ કરવાનું ટાળ્યું હતું.

કોઇ શું કહે એ વિચારોની મને ચિંતા નથી,
હો હજારો મત, હજારોની મને ચિંતા નથી.

અંતરાત્મા જે કહે એ સાંભળું છું ધ્યાનથી,
બહારના બીજા પુકારોની મને ચિંતા નથી.

છે જીવનમાં અલ્પ મિત્રો એનો આ છે ફાયદો,
પીઠ પાછળનાં પ્રહારોની મને ચિંતા નથી!

રક્ષવી હો જાતને તો માત્ર મીઠ્ઠી ધારથી,
રક્તની પ્યાસી કટારોની મને ચિંતા નથી.

ફૂલ નોખું પામવામાં કંટકો વાગ્યા ભલે, 
રક્તરંજીત આ લટારોની મને ચિંતા નથી.

પાનખર બસ સાથ આપ્યે જાય છે થાક્યા વિના, 
બેવફાઈની બહારોની મને ચિંતા નથી!

કોઇ પરખંદો સમજશે મૂલ્ય મારા હીરનું,
બાકી ઊઘડતી બજારોની મને ચિંતા નથી.

(નેહલ મહેતા)


Comments

Popular posts from this blog

नि:स्वार्थ प्रेम की परिभाषा (जोगिन्दर तिवारी)

દ્રૌપદી વસ્ત્રાહરણ અંગે કૃષ્ણ-અર્જુન સંવાદ

શાસ્ત્રીય સંગીતના રાગો વિશે સપાટી પરનાં અવલોકનો