૨૦૨૪ની પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારત
૨૦૨૪ની પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતનો દેખાવ અપેક્ષા કરતાં નબળો રહ્યો. એકાદ ગોલ્ડ મેડલ સહિત કુલ દસેક ચંદ્રકો જીતવાની આશા હતી એને બદલે પાંચ કાંસ્ય ચંદ્રકો અને એક રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો. હૉકી ટીમે સતત બીજી વખત કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ સર્જ્યો, પણ હૉકી અને બૉક્સિંગ બંનેમાં નિર્ણાયકો, રેફરીઓના ઘણા વિવાદાસ્પદ નિર્ણયો ભારતની વિરુદ્ધ ગયા હોવા બાબતે ભારતના ઘણા સમર્થકોએ X (જૂનું ટ્વિટર) માધ્યમ પર આક્રોશ વ્યક્ત કર્યો. બૉક્સિંગમાં ખાસ કરીને નિશાંત દેવ ક્વાર્ટર ફાઇનલમાં સ્પષ્ટ વિજેતા હોવા છતાં એને પરાજિત જાહેર કરવામાં આવ્યો. હૉકીમાં ગ્રેટ બ્રિટન સામેની ક્વાર્ટર ફાઇનલમાં અમિત રોહિદાસને એના કોઈ વાંક વગર રેડ કાર્ડ બતાવવામાં આવતાં એણે જર્મની સામેની મહત્ત્વની સેમી-ફાઇનલમાં બહાર બેસી રહેવું પડ્યું અને ભારતીય હૉકી ટીમનો લય તૂટ્યો. એ ઉપરાંત પણ પેનલ્ટી કૉર્નર બાબતના ઘણા નિર્ણયો વિવાદાસ્પદ રહ્યા અને ભારત માટે નડતરરૂપ બન્યા. જેવેલિન થ્રોમાં પાકિસ્તાની ખેલાડી અર્શદ નદીમે ૯૦ મીટરથી ઉપરનો થ્રો કરીને બધાને ચોંકાવી દીધા. નીરજ ચોપડા ૯૦ મીટરના અંતરને આંબી શક્યા નહિ અને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો. આ ઉપરાંત...